રંગભૂમિક્ષેત્રે ઉ.ગુ.નું નામ રોશન કરનાર જયશંકર સુંદરીથી લઇને અનેકવિધ કલાકારો પોતાની કલાનાં કામણ રંગભૂમિના સ્ટેજ પર પાથરી ચૂક્યાં છે. આ કલાયાત્રાને સિનેમાઘરો અને મલ્ટીપ્લેકસના જમાનામાં જબરજસ્ત ‘બ્રેક’ વાગી. તેમ છતાં એવા ઘણા કલાકારો છે કે જેમણે આ ક્ષેત્રને બાય બાય.. કહેવાને બદલે જાનદાર બનાવવાના પ્રયાસો કર્યા છે. આવા જ એક કલાકાર છે આપણા નટુ કાકા. હા, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોમેડી સિરિયલમાં હસાવી હસાવીને લોટપોટ કરી નાખતા નટુ કાકા. તે છે આપણા વડનગર તાલુકાના ઊંઢાઇ ગામના. ચાલો આજે કરીએ તેમની કલાયાત્રા પર એક નજર મુંબઇ ગુજરાતી નાટક મંડળીથી રંગભૂમિ ક્ષેત્રે કાઠું કાઢનારા ઊંઢાઇના નાયક પરિવારમાં જન્મેલા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોમેડી સિરિયલના નટુ કાકાનું અસલ નામ ઘનશ્યામ નાયક છે. તેઓ આર્નત પ્રદેશની રાજધાની ગણાતા વડનગર તાલુકાના ઊંઢાઇ ગામના વતની છે. તેમની પ્રસિદ્ધિની સુવાસ તેમના માદરે વતન માં ઘર ઘરમાં પ્રસરી રહી છે. તેઓ પ્રાથમિક શાળાના અભ્યાસકાળથી નાટકો ભજવતા હતા, જેને તેમના બાળગોઠિયા આજે પણ ભૂલ્યા નથી. બાળપણમાં ધોરણ પાંચ સુધી નટુ કાકાના સહપાઠી રહી ચૂકેલા અને ઇશ્વરભાઇ કચરાભાઇ પટેલકહે છે કે, નટુ કાકાએ શોભાસણ ગામે આવેલા રેવડીયા માતાના મંદિરે ભવાઇમાં બાળવયે સ્ત્રીપાત્ર ભજવ્યું હતું અને ત્યાર પછી મુંબઇ જઇ રામલીલામાં બાળ કલાકાર તરીકે કામ શરૂ કર્યું હતું. રંગભૂમિ ક્ષેત્રે પાપા પગલી માંડનારા નટુ કાકાએ બાળ કલાકાર તરીકે સૌ પ્રથમ હિન્દી ફિલ્મ ‘માસૂમ’થી કેરિયરની શરૂઆત કરી હતી. આજે ૫૫ વર્ષની કારિર્કદીમાં તેમણે ૨૦૦ જેટલી હિન્દી-ગુજરાતી ફિલ્મો અને ૩૦૦ જેટલી સિરિયલોમાં કામ કર્યું છે. જોકે તેમની સિદ્ધિ પાછળ ઊંઢાઇના નાયક પરિવારોની પ્રેરણા અને ગામમાં આવેલા નાયકોના આરાધ્યદેવ લાખેશ્વર મહાદેવની કૃપા હોવાનું ગ્રામજનો કહી રહ્યાં છે. ૮૦ વર્ષિય પોપટલાલ પ્રહલાદરામ રાવલ જણાવે છે કે, આજથી ૧૪૦૦ વર્ષ પૂર્વે ઊંઢાઇ ગામની સ્થાપના થઇ હતી. સોલંકીકાળમાં પણ અહીંના ૩૦ જેટલા નાયક પરિવારો આર્નતપ્રદેશમાં ખ્યાતિ પામ્યા હતા. દોલતરામ જેઠાભાઇ નાયકના વંશજો ગણાતા આ નાયક પરિવારો છેલ્લે ૧૯૪૬ સુધી મુંબઇ ગુજરાતી નાટક મંડળીથી રંગભૂમિ ક્ષેત્રે સારી નામના પ્રાપ્ત કરી હતી. ઊંઢાઇના જ કેશવલાલ કોમિકસ, પ્રહલાદજી કાળુભાઇ નાયક, બાપુલાલ ભભલદાસ નાયક, અંબાલાલ ભભલદાસ નાયક, કેશવલાલ કપાતર (કંપાઉન્ડર), વિસનગરમાં સૌપ્રથમ રંગભૂમિની સ્થાપના કરનારા જયશંકર સુંદરી વગેરે અનેક કલાકારોએ આ ગામનું નામ રોશન કર્યું છે. ત્યારે આજે વર્ષો બાદ ઘનશ્યાભાઇ નાયકે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પાત્ર નટુ કાકાના નામથી વિશ્વસ્તરે પ્રસિદ્ધિ મેળવી અમારા ગામને ઉંચો દરજજો અપાવ્યો છે. નટુ કાકાએ અમારા ગામને વિશ્વ ફલક ઉપર ચમકાવ્યું છે
ઊંઢાઇમાં આવેલી નાયકોની માઢડીમાં વસતા ઇશ્વરભાઇ કચરાભાઇ પટેલનું કહેવું છે કે, નટુ કાકા બાળપણથી નાટકો ભજવતા હતા. તેમના મિત્રો આજે પણ અતીતના સંસ્મરણોને વાગોળતાં ગૌરવભેર કહે છે કે, નટુ કાકાના હુલામણા નામથી પ્રસિદ્ધ થયેલા ઘનશ્યામભાઇ નાયકે અમારા ગામને વિશ્વ ફલક ઉપર ચમકાવ્યું છે. નાયકો ગયા ને ખોરડાં રહી ગયા
નાયકોની માઢડીમાં વસતા ડૉ.. ચિમનભાઇ એસ. પટેલ કહે છે કે, અમારા ગામમાં એક જમાનામાં નાયક પરિવારો મોટી સંખ્યામાં રહેતા હતા. કાળક્રમે રંગભૂમિનું સ્થાન સિનેમાઘરો અને ટી.વી.એ લઇ લેતાં પેટિયું રળવા નાયક પરિવારો આજે દેશ, વિદેશમાં ચાલ્યા જતાં ગામમાં નાયક પરિવારનું માત્ર એક જર્જરિત મકાન રહી ગયું છે. ત્યારે વર્ષે દહાડે કેટલાંક નાયક પરિવારો આજે પણ દૂર દૂરથી તેમની કુળદેવી માવડીયાં માતાજીનાં દર્શન કરવા અચૂક ઊંઢાઇ આવે છે.