મિયાં ફુસકીથી તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સુધીની સફર..
- કોમેડી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદી સાથે મુલાકાત
માદરે વતન વડનગરની મુલાકાત લીધા બાદ ગુરૂવારે ખેરાલુમાં આવેલી મહાપ્રભુજીની બેઠકનાં દર્શને પરીવાર સાથે આવેલા કોમેડી ટી.વી. સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા આસીત મોદી હાસ્યને વિશ્વ ફલક પર લઇ જવા માંગે છે. અમદાવાદ દૂરદર્શનના માઘ્યમથી ૧૯૯૩માં ગુજરાતીઓ સમક્ષ પોતાની સૌ પ્રથમ કોમેડી સિરીયલ મીયાં ફુસકી રજુ કરનાર આસીત મોદી હાલમાં તારક મહેતાકા ઉલ્ટા ચશ્માના માઘ્યમથી દેશ સહિત વિદેશમાં વસતા ભારતીયોને પેટભરીને હસાવી રહ્યા છે ત્યારે સમાજની કડવી બાબતોને તેઓ હાસ્યના માઘ્યમથી કેવી રીતે રજુ કરી રહ્યા છે તે અંગે અહીં પ્રસ્તુત છે તેમની સાથે થયેલી મુલાકાત.
તમને કોમેડી સિરીયલો બનાવાની પ્રેરણા કેવી રીતે મળી ?
દરેક ગંભીર સમસ્યાઓને એક અલગ દ્રષ્ટિકોણથી સમાજ સામે હાસ્યના માઘ્યમથી મુકી શકાય છે. ગંભીર સમસ્યાને ગંભીર રીતે રજુ કરીએ તો તેની અસર વધુ ગંભીર પડતી હોય છે. જ્યારે હાસ્યમાં સહજતા અને સરળતા હોય છે, એમાંય હાસ્ય મારો પહેલેથી જ મન ગમતો વિષય રહ્યો છે. મે સૌથી પહેલાં ગુજરાતીમાં મિયાં ફુસકી સિરીયલ બનાવેલી તે એક હિંદુ મુસ્લિમ એકતાની વાત રજુ કરતી કોમેડી સિરીયલ હતી. જેથી હાસ્ય પહેલેથીજ મારી સાથે વણાયેલુ રહ્યું છે. આમ તો હું મનોરંજનના માઘ્યમમાં છું. હું લોકોને મારી વાત શિક્ષણના માઘ્યમની જેમ સમજાવી ન શકુ, હું લોકોને સમાજની સમસ્યાઓ અંગે શિખવાડી ન શકુ. જો હું તેમ કરૂ તો લોકોને લાગે કે આ તો ઉપદેશ આપે છે અને તેના માટે મારે સંસ્કાર કે આસ્થા જેવી ટી.વી.ચેનલનો સહારો લેવો પડે. હું સમાજના મનોરંજન માટે સિરીયલ બનાવું છું અને મનોરંજન ઘણાબધા પ્રકારે થાય છે. એમાંય સારી રીતે મનોરંજન કેવી રીતે આપવું તેના માટે હાસ્ય મોટો આધાર સ્થંભ છે. જેમકે કોઇ કડવી દવા હોય અને તેને આપણે બાળકને મધ સાથે આપી દઇએ છીએ ત્યારે નાના છોકરાને મધનો સ્વાદ રહી જાય છે અને કડવાહટનો અહેસાસ થતો નથી. એવી રીતે તારક મહેતામાં પણ કડવાહટની સાથે મધ ભેળવીને સમાજ સમક્ષ મુકીએ છીએ.
તમારી કઇ સિરીયલ સૌથી વધુ હીટ રહી ?
વાત સિરીયલની હીટ થયાની કરીએ તો હમણાં તો સૌથી વધુ તારક મહેતા પોપ્યુલર બની છે. હમણાંજ અમે તેના ત્રણસો(૩૦૦) એપિસોડ પૂરા કર્યા છે. અને આખા વલ્ર્ડમાં આ પહેલી સિરીયલ છે કે જેના માઘ્યમથી અમે લોકોને ડેઇલી(દરરોજ) હસાવીએ છીએ. દરેક સિરીયલ નિર્માતાને ઓડીયન્સની અપેક્ષા હોય તે સ્વાભાવિક છે પણ તારક મહેતામાં ઓડીયન્સ સામેથી અપેક્ષા દાખવી રહ્યું છે કે આજે તો વધારે હસવું આવશે.
વતન વડનગર પ્રત્યે કેટલો લગાવ છે ?
વડનગર મારૂ અતિ મનગમતું સ્થળ છે. મને મારૂ વતન ખુબજ ગમે છે. હું જ્યારે પણ વડનગર આવું છું ત્યારે મને એક અદભૂત શાંતી મળે છે. અહીં આવવાથી મારા બધાજ ટેન્શન ઉતરી જાય છે. હું વડનગરમાં પગ મુકુ એટલે મારૂ હ્રદય પુલકીત થઇ ઉઠે છે. કારણ કે વડનગર મારા હ્રયમાં વસેલું છે. વર્ષમાં એકાદવાર એક દિવસ માટે પણ હું એકલો અથવા પરીવાર સાથે વડનગરની અવશ્ય મુલાકાત લઉ છું.
હાસ્ય સિરીયલનું તમે શું ભવિષ્ય નક્કી કર્યુ છે ?
હું હાસ્યની આ સિરીયલોને મોટા માઘ્યમ ઉપર લઇ જવા ઇચ્છું છું. હાલમાં મારી આ સિરીયલો ઇન્ડીયન ઓડિયન્સ જુવે છે પણ ભવિષ્યમાં હું તેને વિશ્વ ફલક પર લઇ જવા માગું છું. અને તેના માટે હું વિચારશીલ છું. હું તારક મહેતાની જેમ દરેક સિરીયલને ટોપ પર લઇ જવા માગું છું. અત્યાર સુધી મારી તમામ સિરીયલો સફળ રહી છે. જેમાં સબ ટી.વી. પર દર્શાવાતી તારક મહેતા સિરીયલને સૌથી વધુ લોકપ્રિયતા મળી છે. એમાંય આ સિરીયલના ટૂંકા સમયગાળામાં ૩૦૦ એપિસોડ પૂરા થતાં એક વલ્ર્ડ રેકોર્ડ થવા જઇ રહ્યો છે.