Jitendra Pandya, Kheralu 26/9/2010 ખેરાલુ સહિત ઉત્તર ગુજરાતનાં વિવિધ શહેરોમાં વસતા શ્રીમાળી ભુદેવો દર વર્ષે આવતી આસો સુદ સાતમને મડા સાતમ તરીકે મનાવે છે. ખેરાલુના શ્રીમાળીવાડામાં આવેલા ગાત્રેશ્વરી માતાના મંદીર આગળ કેટલાક જીવીત યુવાનો મડદાની જેમ સુઇ જતાં હોય છે અને આસપાસ ઉભેલા ભુદેવો તેમના છાજીયા લઇ ઉત્સવનો પ્રારંભ કરે છે.
ભવાઇની જેમ મનાવાતા આ ઉત્સવમાં નનામીનું પ્રતીક કાઢી ભુદેવો ગાત્રેશ્વરી દેવીના મંદિર સમક્ષ ધાર્મીક વિધી કરે છે. આ અંગે એવી માન્યતા પ્રચલીત છે કે દોઢ સદી પૂર્વે સમગ્ર ઉત્તર ગુજરાતમાં મહામારી ફેલાઇ હતી ત્યારે અનેક લોકો એક પછી એક મરવા લાગતાં એક સાથે અસંખ્ય નનામીઓ સ્મશાન સુધી પહોંચી હતી.
જોકે હાલમાં ભીનમાલ તરીકે ઓળખાતા તે જમાનાના રાજસ્થાનના શ્રીનમાલમાંથી આવીને ખેરાલુ સહિત પાટણ અને કચ્છ કાઠીયાવાડમાં વસતા શ્રીમાળી બ્રાહ્મણોએ મહામારી સામે શ્રઘ્ધાની જ્યોત જલાવી હતી. શ્રીમાળી ભુદેવોની કુળદેવી ગણાતાં ગાત્રેશ્વરી દેવીના મંદિર આગળ મૃતકોનાં શબ મુકીને દેવીને વિનંતીઓ કરતાં તે વખતે આસો સુદ સાતમના દિવસે ચમત્કાર સર્જાયો હતો અને દેવી પ્રસન્ન થતાં મુવેલા લોકો જીવીત થયા હતા.
બસ ત્યારથી અહીંના ભુદેવો દ્વારા મડા સાતમનો ઉત્સવ મનાવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે ત્રણ વર્ષ અગાઉ રાજકોટની એક વિજ્ઞાન જાથા નામની સંસ્થાએ ભુદેવોની આ પરંપરાને અંધશ્રઘ્ધા ગણાવી તેને બંધ કરાવા માંગણી કરી હતી. જોકે સતત કરવામાં આવેલી આ માંગણીને તંત્રએ ઠુકરાવી દિધી હતી. પરીણામે ભુદેવોએ જાથાના વિરોધ છતાં મડા સાતમના ઉત્સવની રંગેચંગે ઉજવણી કરી હતી. કેવી રીતે મનાવાય છે આ ઉત્સવ ? ખરાલુના શ્રીમાળીવાડામાં આવેલા ગાત્રેશ્વરી માતાના મંદિર આગળ કેટલાંક ભુદેવો શબ બનીને જમીન પર સુઇ જાય છે અને આસપાસ ઉભેલા અન્ય ભુદેવો આ જીવીત યુવાનોના છાજીયા લઇ દેવીને રીજવવા પ્રયત્નો કરે છે. દરમિયાન મંદિરેથી નીકળી ગામના પાદરે પહોંચતા ભુદેવો કણજીના વૃક્ષનાં લીલાં લાકડાં કાપી તેમાંથી નનામીનું પ્રતિક તૈયાર કરે છે. ત્યાર બાદ સ્મશાનયાત્રા સ્વરૂપે ભુદેવો નનામી લઇ આસપાસનાં મંદિરોમાં જાય છે અને દેવી, દેવતાઓને રીજવવા પ્રાથર્ના અર્ચના કરી ગરબા ગાઇ કાર્યક્રમનું સમાપન કરે છે. આ કાર્યક્રમને નિહાળવા નગરજનો મોટી સંખ્યામાં ઉમટે છે. શ્રઘ્ધાનો સમુંદર સર્જાય છે અને અનેક લોકો ગાત્રેશ્વરી દેવીનાં દર્શન કરી લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. આમ ખેરાલુમાં શ્રઘ્ધા અને અંધશ્રઘ્ધાના મતમતાંતર વચ્ચે આજે પણ મડા સાતમની ઉજવણી કરવામાં આવે છે.