લોકશાહીની કેડીએ ગુજરાત બદલાયું છે: વાસુદેવદાદા
- Jitendra Pandya, Kheralu
ગુજરાતના સ્થાપનાકાળ પૂર્વેની અમલદારશાહી ને માઉન્ટઆબુના પટવારી આજે પણ ભૂલ્યા નથી ખેરાલુ નગરમાં વસતા અને ગુજરાતની સ્થાપના પૂર્વે મુંબઇ સ્ટેટ તળેના માઉન્ટઆબુમાં પટવારી (તલાટી) રહી ચુકેલા વડીલ વાસુદેવભાઇ શુકલ સ્થાપનાકાળ પૂર્વેની કડક અમલદાર શાહીને આજે પણ ભુલ્યા નથી.
તેમનું કહેવું છે કે ૧૯૬૦ પૂર્વેના દાયકામાં કરવેરાની ૧૦૦ ટકા વસુલાત કરવા માટે અમલદારો નાગરિકોને જાહેરમાં અંગુઠા પકડાવી પીઠ ઉપર ઘંટીનું પૈડિયું મુકતા હતા. તે અમલદાર શાહીની તુલનાએ લોકશાહીની કેડીએ ગુજરાતે નોંધપાત્ર વિકાસ સાઘ્યો હોવાનું ગૌરવ અનુભવી રહ્યા છે.
ખેરાલુના ખારીકુઇ વિસ્તારમાં આવેલા બ્રાહ્મણોના એક મહોલ્લામાં પરીવાર સાથે વસતા શુકલ વાસુદેવભાઇ નર્મદાશંકરે જણાવ્યું હતું કે,૧૯૫૫-૫૬થી ગુજરાત રાજયની અલગ સ્થાપના માટે કામગીરી શરૂ કરાઇ હતી. જેમાં તેમણે માઉન્ટઆબુને રાજસ્થાન પ્રદેશને સોંપવા માટે સરકારે નક્કી કરેલી સીમા રેખા મુજબ પેપર તૈયાર કર્યાં હતાં. એ જમાનામાં ૭૫ રૂપિયાના પગારમાં પટવારી તરીકે ફરજ બજાવતા આ વડીલે જણાવ્યું હતું કે, તે વખતે રાજયનો કારભાર માત્ર કરવેરાને આધારે ચાલતો હોય કરવેરાની કડક વસુલાત કરાતો.
એમાંય અમલદારો સો ટકા વસુલાત પુરી કરવા માટે પટવારીઓને નાગરીકો પર કડક કાર્યવાહીની સુચના આપતા હતા. જે સમયસર કરવેરો ન ભરે તેવા નાગરીકને જાહેરમાં અંગુઠા પકડાવી તેની પીઠ ઉપર ઘંટીનું પૈડીયું મુકવામાં આવતું હતુ. આ નાગરીકના પરીવારમાંથી જયારે કોઇ આવીને કરવેરો ભરપાઇ કરી જતુ ત્યારે તેને મુકત કરાતો હતો.